આઠે પ્રહર ગરીબો ઉપર બેશુમાર કેમ ?
પડતી રહે છે આફતો પરવરદિગાર કેમ ?
ઈમાન વેચનાર છે, આરામથી ખુદા,
ખાતો રહે છે, ઠોકરો ઈમાનદાર કેમ ?
નિર્દોષ ભોગવે સજા, દોષિત મજા કરે,
તુજ મે’રબાનીના ખુદા આવા પ્રકાર કેમ ?
ઈમાનદારી છોડવાનો છે સમય હવે
આવે છે રાત-દિ’ મને આવા વિચાર કેમ ?
અડ્ડો જમાવી બેઠી છે વર્ષોથી પાનખર,
ભૂલી ગઈ છે બાગને મારા બહાર કેમ ?
લેવા જવાબ ઓ ‘જલન’ અહીંથી જવું પડે,
પાછા ફર્યા નથી હજુ ઉપર જનાર કેમ ?
“જલન માતરી”