સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આજ છે,
સુખ એ અમારા દુ:ખનો ગુલાબી મિજાજ છે.
હું જો અનુકરણ ન કરું તો કરું યે શું ?
અહીંયા મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે ?
દુનિયાના લોક હાથ પણ ના મૂકવા દિયે
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.
ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ જલનની નમાઝ છે.
– ‘જલન’માતરી