સંકુચિત માન્યો મને એને એ સમજાયું નહીં,
દિલ તને દીધા પછી દુનિયાને દેવાયું નહીં…
મેં કર્યો એક જ સ્થળે ઊભા રહીને ઇન્તઝાર,
એટલે તારા સુધી મારાથી પહોંચાયું નહીં…
આપનો પરદો વિરહની રાતના જેવો જ છે,
આપને જોતો રહ્યો ને કાંઇ દેખાયું નહીં…
થઇ ગયો કુરબાન હું તો આ જગતમાં કોઇ પર,
મોત આવે ત્યાં સુધી મારાથી જીવાયું નહીં…
જેને દર્શાવ્યું મેં એણે ફેરવી લીધી નજર,
મારી એકલતાનું દુઃખ કોઇથી જોવાયું નહીં…
સાથ મારા શત્રુનો લેવો પડ્યો એ કાર્યમાં,
મારે હાથે તો જીવન મારું મિટવાયું નહીં…
મારું જીવનકાર્ય મિત્રોએ કર્યું મર્યા પછી,
સૌ રડ્યા બેફામ જ્યારે મુજથી રોવાયું નહીં…
– બરકત વીરાણી ‘બેફામ’