નથી એ દોસ્ત પણ થાતા,કે દુશ્મન પણ નથી થાતાં,
મને સમજાય એવા એના વર્તન પણ નથી થાતાં.
અમારા ભાગ્ય જેમ જ થઇ ગયા છે ભાવ પણ નોખા,
ઉભયના એક જીવન તો શું કે એક મન પણ નથી થાતાં.
જુદાઈથી તો વધારે દુઃખ મને જાગરણનું છે,
મિલન એનું ભલે ન થાય,દર્શન પણ નથી થાતાં.
પ્રણયમાં છુટી શકીએ એવી મુક્તિ તો નથી મળતી,
મગર છુટા ન પડીએ એવાં બંધન પણ નથી થાતાં.
તને ખોયાનું દુઃખ છે કિન્તુ આંસુ કોણ લૂછવાનું?
નથી તું મારી પાસે એથી રુદન પણ નથી થાતાં.
પીવું છે ઝેર શંકર જેમ કિન્તુ કેમ મેળવવું?
જગતના એવાં મૃગઝળ છે કે મંથન પણ નથી થાતાં.
કર્યું પારસ સમું પથ્થર હૃદય બેફામ તોયે શું?
કે સ્પર્શી જાય છે એવાં જે કંચન પણ નથી થાતાં.
~. બરકત વિરાણી ‘બેફામ’,