સુખદુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયાં
ટાળ્યાં તે કોઈનાં નવ ટળે, રઘુનાથનાં જડિયાં
સુખદુઃખ મનમાં ન આણીએ.
નળરાજા સરખો નર નહીં જેની દમયંતી રાણી
અર્ધે વસ્ત્ર વનમાં ભમ્યાં, ન મળ્યાં અન્ન ને પાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.
પાંચ પાંડવ સરખાં બાંધવા, જેને દ્રૌપદી રાણી
બાર વરસ વન ભોગવ્યાં, નયને નિદ્રા ન આણી
સુખદુઃખ મનમાં ન આણીએ.
સીતા સરખી સતી નહીં, જેના રામજી સ્વામી
રાવણ તેને હરી ગયો, સતી મહાદુઃખ પામી
સુખદુઃખ મનમાં ન આણીએ.
રાવણ સરખો રાજિયો, જેની મંદોદરી રાણી
દશ મસ્તક છેદાઈ ગયાં, બધી લંકા લૂંટાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.
હરિશ્ચંદ્ર રાય સતવાદિયો, જેની તારામતી રાણી
તેને વિપત્તિ બહુ રે પડી, ભર્યાં નીચ ઘેર પાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.
શિવજી સરખા સતા નહીં, જેની પારવતી રાણી
ભોળવાયા ભીલડી થકી, તપમાં ખામી ગણાણી
સુખદુઃખ મનમાં ન આણીએ.
એ વિચારી હરિને ભજો, તે સહાય જ કરશે
જુઓ આગે સહાય ઘણી કરી, તેથી અર્થ જ સરશે
સુખદુઃખ મનમાં ન આણીએ.
સર્વ કોઈને જ્યારે ભીડ પડી, સમર્યા અંતરયામી
ભાવટ ભાંગી ભૂધરે, મહેતા નરસૈંયાના સ્વામી
સુખદુઃખ મનમાં ન આણીએ.
– નરસિંહ મહેતા