ઈર્ષ્યા જ્યારે આળસ મરડે,
ખાર તો શું, ખુદ ફૂલો કરડે.
ધોઇ નાખ્યા હાથ સ્વજનથી,
કોણ હવે શત્રુમાં ખરડે ?
ભૂલ્યા કેમ ભુલાશે મિત્રો ?
ઘાવ હજુ તાજા છે બરડે !
ઊંડા ઘા તો કૈંક સહ્યા, પણ –
જાન ગયો છે એક ઉઝરડે.
મેરુનો મહિમા ગાનારા,
અંજાયા છે એક ભમરડે !
કહેશે કોણ ઝવેરી તમને ?
ફેંકી દીધાં રત્ન ઉકરડે !
રાખ્યું નામ अमर એથી શું?
કોને છોડ્યો મોતના ભરડે ?
– અમર પાલનપુરી