તારા વિના જિવાય નહીં, એવું કંઈ નથી,
જીવ્યા છતાં મરાય નહીં, એવું કંઈ નથી.
ટેકો લઈને બેઠો છું, તૂટેલી ભીંતનો;
પડછાયો પણ દટાય નહીં, એવું કંઈ નથી.
મૃગજળમાં ઝૂકી ઝૂકીને પ્રતિબિંબ જોઉં છું;
આછી છબી કળાય નહીં, એવું કંઈ નથી.
છબીના કોટ-કિલ્લા રચાયા સડક ઉપ૨;
વાદળથી ઝરમરાય નહીં, એવું કંઈ નથી.
હાથે-પગે છે બેડીઓ, પાટો છે આંખ પર;
તેથી ગઝલ લખાય નહીં, એવું કંઈ નથી.
વીતી ગયેલી ક્ષણ અને છૂટેલું તીર છું;
પાછા વળી શકાય નહીં, એવું કંઈ નથી.
માણસ મરે ને સ્વપ્નાઓ જીવતાં રહે છતાં
કબરો કદી ચણાય નહીં, એવું કંઈ નથી.
– ભગવતીકુમાર શર્મા