મંદિરો માટે તો આરસ જોઈએ
ભક્તિ માટે મન નિખાલસ જોઈએ
કઈ રીતે જગ થાય રોશન, શું ખબર?
ઝૂંપડીને માત્ર ફાનસ જોઈએ
દેહ તો કંતાનથી ઢાંકી શકો
આયનો બોલ્યો કે અતલસ જોઈએ
એક વૈરાગીને જોયો તો થયું
કંઈ ન કરવામાંય સાહસ જોઈએ
ધનને માટે એક વંશજ કાફી છે
ભાષા માટે લાખ વારસ જોઈએ
એકરસ થઈને ગઝલ લખતો રહ્યો
એ ખબર નહોતી કે નવરસ જોઈએ
– રઈશ મનીઆર