કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે ‘;
પરંતુ ગગનાંગણે, અવનિમાં, અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.
પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં;
અનેક જગતો રચી સ્વપ્નમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયાં કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.
મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
રચે સ્વપ્ન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વિસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.
છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.
પ્રહલાદ જેઠાલાલ પારેખ