કદાચ હું કાલે નહીં હોઉં,
કાલે જો સૂરજ ઊગે તો કહેજો કે
મારી બિડાયેલી આંખમાં
એક આંસુ સૂકવવું બાકી છે.
કાલે જો પવન વાય તો કહેજો કે
કિશોર વયમાં એક કન્યાના ચોરી લીધેલા સ્મિતનું પક્વફળ
હજી હજી મારી ડાળી પરથી ખેરવવું બાકી છે.
કાલે જો સાગર છલકે તો કહેજો કે,
મારા હૃદયમાં ખડક થઈ ગયેલા
કાળમીંઢ ઈશ્વરના ચૂરેચૂરા કરવા બાકી છે.
કાલે જો ચંદ્ર ઊગે તો કહેજો કે
એને આંકડે ભેરવાઈને બહાર ભાગી છૂટવા
એક મત્સ્ય હજી તરફડે છે.
કાલે જો અગ્નિ પ્રગટે તો કહેજો કે,
મારી વિરહી પડછાયાની ચિતા
હજી પ્રગટવી બાકી છે.
– સુરેશ જોશી