ખુલ્લું હૃદય છે કોઈ ભલે પારખાં કરે,
પણ બારણું નથી કે બધા આવ જા કરે.
દુશ્મન તો એક પણ મને જીતી શક્યો નહીં,
હારી હું જાઉં એમ કોઈ મિત્રતા કરે.
આથી વિશેષ કૈં જ મને જોઈતું નથી,
દરરોજ સૂર્ય જોઉં તો વિસ્મય થયા કરે.
દીવો ભીતર વિલાસમાં જીવી રહ્યો હશે,
નહીંતર ન બંધ બારણે હુમલો હવા કરે.
મરજી પડે તો મોજથી અજવાળું અવગણું,
પણ શી મજાલ રાતની કે બાવરા કરે.
– ગૌરાંગ ઠાકર