ડૂબી નહીં શકું ભલે પાણીમાં તાણ છે;
હિંમત છે નાખુદા અને વિશ્વાસ વા’ણ છે.
અવસર વહી જશે તો ફરી આવશે નહીં,
આવી શકો તો આવો હજુ કંઠે પ્રાણ છે.
અશ્રુનો આશરો છે તો ઝીલી શકું છું તાપ,
નજરો શું કોઇની છે? જલદ અગ્નિ-બાણ છે.
સમજી શક્યું ન કોઇ મને એનો ગમ નથી,
દુનિયાથી મારે સાવ નવી ઓળખાણ છે.
ચાલી રહ્યો છું એમ ફના-પંથે રાતદિન,
જાણે મને કોઇના ઇરાદાની જાણ છે !
લઇ જાઓ, આવો ઊર્મિઓ ! એકેક અશ્રુને,
આવ્યું છે કોઇ એની ખુશાલીની લા’ણ છે.
સમજી શકે જો ધર્મ તણો સાર માનવી,
સર્વાંગ એ જ ‘શૂન્ય’ અઢારે પુરાણ છે.
-શૂન્ય પાલનપુરી