આખા જગથી એ સાવ છાનું છે,
તારી યાદોનું મનમાં ખાનું છે.
એનું કંઈ પેચકસ કે પાનું છે?
મનનું ભંડકિયું ખોલવાનું છે.
નભનો ખૂણેખૂણો ફરી લો પછી,
એય પિંજર શુ લાગવાનું છે.
સૌને જોઈ લીધા મનાવી, હવે
આપણે મન મનાવવાનું છે.
સત્ય પીરસો છો ત્યારે ધ્યાન રહે,
સામાએ તે પચાવવાનું છે.
કોને છોડે છે દુઃખ કદી ‘હેમંત’?
દુઃખને તારે જ છોડવાનું છે.
– હેમંત પૂણેકર