થયેલા જખમને પ્રથમ છાવરે છે,
પછી જાળ દુઃખની સ્વયં પાથરે છે !
વમળમાં ફસાયું છે મન એટલે તો,
વિચારો મહીં ક્યાં હજી આછરે છે ?
બધી ગેર સમજણ કહેતી ફરે કે –
વિવાદો વિમાસણ સુધી વિસ્તરે છે.
અગર હોય શ્રદ્ધા ડુબાડે ન સાગર,
જુઓ, રામનામેય પથ્થર તરે છે !
અહં ઓગળે, જાત થઈ જાય ખાલી,
પછી બ્રહ્મ રૂપે ગઝલ અવતરે છે !
જિજ્ઞા ત્રિવેદી