ભલેને એક પાંદડુંય પણ હલે નહીં,
પવનને સ્થિરતા જરાય પાલવે નહીં.
વિકલ્પ અન્ય કોઈ હોય તો બતાવ તું,
નદી સમુદ્રમાં કદાચ તો ભળે નહીં !
કુમાશ એટલી હદે તું લાવ સ્પર્શમાં,
લજામણીય સ્હેજ પણ ઢળી પડે નહીં.
અસંખ્ય દીપ પાથરે ઉજાસ આભમાં,
છતાંય અંધકારની કલા ઘટે નહીં !
હજાર દાખલા દલીલ કાં ન આપ તું,
ન માનવાનું વ્રત હશે તો માનશે નહીં.
– જયંત ડાંગોદરા