ભલેને કોઈના આધાર પર એ ટેકવાયા છે,
એ હમણાં ચાલશે, બહુ ચાલશે, બહુ મોટી માયા છે.
અમુક લોકો હતા પહેલાં ગરીબ પણ જિંદગી આખી,
ગરીબીના જ ગરબા ગાઈને અઢળક કમાયા છે.
હું ખાલી એટલું પૂછું કે શું એને ખબર પણ છે?
કે જેને આપણી તકરારમાં વચ્ચે લવાયા છે.
અધિકારીએ પૂછ્યું ‘માવઠાથી કોઈને નુકસાન કંઈ પહોંચ્યું?’
કોઈ બોલ્યું કે ‘સાહેબ! આંખમાં પાણી ભરાયા છે.’
તમારું નામ છે યાદીમાં તેથી ચૂપ છો બાકી,
સિફતપૂર્વક અમુક નામો અહીં ભૂલી જવાયાં છે.
– કિરણસિંહ ચૌહાણ