દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો;
રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો.
અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે,
તમે તો વાતમાં લઇ મોતને પણ ભોળવી નાખો.
જગતને ખોટ પ્હોંચે એ હદે ઓછું થયું છે કંઈક,
હવે એ ખોટ પૂરવા માનવીમાં માનવી નાખો.
શિખામણ આપનારું કોઈ જણ ઘરમાં નથી તો શું?
ખૂણો ખાલી જ છે, થોડાક પુસ્તક ગોઠવી નાખો.
પતંગિયું બેસશે એની ઉપર જો ફૂલ સમજીને ?
સભા બરખાસ્ત થઈ છે મીણબત્તી ઓલવી નાખો.
– ભાવિન ગોપાણી