રોકી લે અશ્રુધાર, હવે એ નહીં મળે,
આશાનો દીપ ઠાર, હવે એ નહીં મળે.
અંધારે જે ન આવ્યાં, શું આવે ઉજાસમાં ?
ખીલી ગયું સવાર, હવે એ નહીં મળે.
પગલાં ન થાય એનાં કદી પાનખર વિશે,
વીતી ગઈ બહાર, હવે એ નહીં મળે.
મન, એને જીતવાના નકામા છે ઓરતા,
આપી ગયા જે હાર, હવે એ નહીં મળે.
જન્મારાના ફળ્યા ન અજંપા-ઉજાગરા
જંપી જા મારા પ્યાર, હવે એ નહીં મળે.
કિસ્મતને એ જ કહેવાને આવી ચડી કઝા,
જેનો છે ઈંતેઝાર, હવે એ નહીં મળે.
–
‘કિસ્મત’ કુરેશી
(ઉમરભાઈ ચાંદભાઈ કુરેશી)