અમારી ભૂલ એ એક જ કે એને ધારવા બેઠા,
નિરાકારી નિરંજન રૂપને આવકારવા બેઠા.
દલીલો પર નથી નિર્ભર છતાં એના જ ટેકા લઈ,
જગતના મૂળ એવા તત્વને આધારવા બેઠા.
રમત પ્રારંભ થાવાની શરતને પાળવા માટે,
અમે જિતાય એવી બાજીઓ પણ હારવા બેઠા.
બધાયે ભાવ સંવેદન તરલ પાણી હવા જેવા,
અમે લઈ પેન કાગળ શબ્દને કંડારવા બેઠા.
નરી નકરી સરળતા હાથતાળી દઈને ચાલી ગઈ,
અમે શાસ્ત્રો પ્રમાણે જિંદગી સંસ્કારવા બેઠા.
– દત્તાત્રય ભટ્ટ