ઈર્ષાથી સળગે છે આખો,
કોઈ તો માણસને ઠારો.
શેકાયો ખુદની ગરમીથી,
સૂરજને વાદળ ઓઢાડો.
કરવી છે સાચ્ચે સેવા તો,
ઘરડાઘરને તાળાં મારો.
આપણને બાકોરું લાગે,
પંખીનો થાશે ત્યાં માળો.
ભીંતોનો તો દોષ જ ક્યાં છે,
આરોપી છે મનનો ગાળો.
ખરતા તારે સૌ કોઈ ધારે,
ધારું હું ને ખરશે તારો.
દિલ તો એની સાથે ચાલ્યું,
નજરુંને તો પાછી વાળો.
– વિપુલ માંગરોલિયા ‘વેદાંત’