કિનારેથી અંદર કૂદેલા જીવે છે,
જીવન, દિલના દરિયે ડૂબેલા જીવે છે.
ખરું છે કે સંબંધ નકરૂં કળણ છે,
ને એ પણ ખરું છે ખૂંપેલા જીવે છે !
કહ્યું માર્ગને ચોંટી બેઠેલા સૌએ,
ખરેખર તો રસ્તો ભૂલેલા જીવે છે!
સતત કાંટા સાથે ફરે તે મરે છે,
ને ઘડિયાળમાંથી છૂટેલા જીવે છે.
પસીનો લૂછી કાળ હાંફીને બોલ્યો !
જીવે છે અણીના ચૂકેલા જીવે છે.
– ડૉ. મનોજ જોશી ‘મન’