ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.
ઝાડ પર આવી અગર એકાદ ચકલી
ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે.
આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
તો વળી કોઈ બરફમાં પણ બળે છે.
હોય સુખ કે દુઃખ સદા હાજર હશે એ,
અશ્રુ થઈ અવસર બધે કેવાં ભળે છે!
જોઈને બિન્દાસ ‘રોશન’ને અહીંયા
દર્દ નાકેથી તરત પાછુ વળે છે
– કિરણ જોગીદાસ ‘રોશન’