મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
તમ ચરણે અમ સદન સદૈવ સુહાય જો
કરજો માફ હજારો પામર પાપ જે
દિનચર્યામાં પ્રભુ પાસે પણ થાય જો
મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
ઉન્નત ગિરિશૃંગોનાં વસનારા તમે
ઉતર્યાં રંક ઘરે શો પુણ્ય પ્રભાવ જો
શુશ્રૂષા સારી ના અમને આવડી
લેશ ન લીધો લલિત ઉરોનો લ્હાવ જો
મહેમાનો ઓ વ્હાલાં પુનઃ પધારજો
– મણિશંકર રત્નજી ભટ્ટ – કાન્ત