માલિકી ભાવ નથી તેથી તે પરબારું કરે છે,
બેઘર દીવો જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે.
મધ્યાહને જ દીપશિખા સોંપી દયો આગામીને,
સૂર્ય પણ સાંજ પડ્યે તો પાછું ફરવાનું કરે છે.
હોય રાજા કે રંક તે શોધી જ લ્યે છે લક્ષ્યને,
કર્મફળને તો જે કરવાનું હોય તે કરવાનું કરે છે.
આ દિલ,આ દર્દ,આ પ્રેમ, આ મમતા, આ મૈત્રી,
નવા નવા નામે યુગોથી માયા છેતરવાનું કરે છે.
આહાર,નિદ્રા,ભય,મૈથુન,રાગદ્વેષ,મોહમાં ફસી,
માનવી જાતે જ પોતાનાં મોક્ષને નડવાનું કરે છે.
મિત્તલ ખેતાણી